સોમવારે મોડી રાત્રે સાઉદી અરેબમાં થયેલા રોડ અકસ્માતમાં 42 ભારતીયોનાં મોત થયા હતા. મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં માત્ર ડ્રાઇવર જ બચી ગયો હતો.
મોટાભાગના મૃતકો હૈદરાબાદના હોવાનું કહેવાય છે. આ અકસ્માત મદીનાથી લગભગ 160 કિલોમીટર દૂર મુહરાસ નજીક ભારતીય સમય મુજબર આશરે 1:30 વાગ્યે થયો હતો. તે સમયે ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમને બસમાંથી બહાર નીકળવાની તક જ મળી નહીં.
તેલંગાણા સરકારે કહ્યું કે તેઓ રિયાધમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં હાજર અધિકારીઓને દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને પીડિતોની ઓળખ કરવા અને અન્ય તમામ મદદ કરવા નિર્દેશ આપ્યો છે.